ગુરુ પૂર્ણિમાની કથા: આદિયોગીથી આજ સુધી
સદગુરુ ગુરુ પૂર્ણિમાની કેટલીક કથાઓ અને હજ્જારો વર્ષોથી શા માટે તેની ઉજવણી કરવામાં આવે છે, તે જણાવે છે. ગુરુ પૂર્ણિમા માનવજાતિના જીવનની મહાનતમ ક્ષણો પૈકીની એક ક્ષણની સૂચક છે. આદિયોગી અસ્તિત્વ તથા સર્જનના સ્રોત વિશેની લોકોમાં પ્રચલિત સમજમાં પરિમાણીય પરિવર્તન લાવ્યા હતા.

જુલાઇ 27 ના ઉજવો ગુરુ પુર્ણિમા સદગુરુ સાથે, આદિયોગી ના સાનિધ્યમાં . જોડાઓ ઈશા યોગ કેન્દ્ર થી અથવા તો લાઈવ વેબસ્ટ્રીમ થી..
Story of Guru Purnima in Hindi
સદગુરુ:આપણે દક્ષિણાયનના ગાળામાં પ્રવેશ કરી ચૂક્યાં છીએ, જ્યારે સૂર્યના પૃથ્વી સાથેના સંબંધની રૂખ પલટાઈને ઉત્તર તરફથી દક્ષિણ ભાગ તરફ ગતિ કરે છે. માનવ શરીરની અંદર થતું પરિવર્તન એવું હોય છે કે આ સમય દરમિયાન શરીર સાધના માટે, લક્ષ્યો નક્કી કરવા માટે વધુ સુયોગ્ય બને છે. આ સમયે જ ખેડૂત જમીનને ખેડે છે. આ સમયે જ યોગી પૃથ્વીનો કોઈ ભાગ ખૂંદવાનું શરુ કરે છે. અને હજ્જારો વર્ષ પહેલાં આ જ સમયે, આદિયોગીનાં ભવ્ય નેત્રો માનવી પર સ્થિર થયાં હતાં.પ્રથમ ગુરુ પૂર્ણિમાની કથા
Iયોગિક સંસ્કૃતિમાં શિવને ભગવાન સ્વરુપે નહીં, પણ આદિયોગી, પ્રથમ યોગી તરીકે જોવામાં આવે છે. આશરે 15,000 વર્ષ પહેલાં, હિમાલયના ઉપરના ભાગમાં એક સિદ્ધ પુરુષ દેખાયા હતા. કોઇ જાણતું ન હતું કે, તેઓ ક્યાંથી આવ્યા છે, તેમના પૂર્વજો કોણ છે. એટ્લે એમને આદિયોગી અથવા તો પ્રથમ યોગીના નામથી ઓડખાય છે.
તેઓ જીવિત હોવાનું એકમાત્ર પ્રમાણ એ હતું કે પરમ આનંદનાં અશ્રુઓ તેમની આંખોમાંથી વહી રહ્યાં હતાં. બસ, આ સિવાય, તેઓ શ્વાસ પણ નથી લઈ રહ્યા, તેવું જણાતું હતું. લોકો કોઈ ચમત્કારની આશાએ તેમના તરફ જોઈ રહ્યાં હતા. પણ તેમની આશા થગારી સાબીત થઈ અને લોકોની આશા પ્રમાણે કશું જ ન થયું. ભીડ વિખરાવવા લાગી.
તેમની સાથે સંમત ફક્ત સાત લોકો જ ત્યાં રોકાયા હતા. તેએ વિનંતી કરી કહ્યું કે કૃપા કરી તમે અમને સમજાવો, જ્ઞાન આપો, અમને શિખવો.
આદિયોગી આ કહ્યું કે તમે તૈયાર થઈ જાવ, તમારી જાતને મને સોંપવા. આ કહેતાની સાથે તમામ સાત લોકો પોતાની જાતને તૈયાર કરવા લાગ્યાં. દિવસો મહિનામાં, મહિનાઓ વર્ષોમાં, વર્ષો દશકોમાં, આમ કરતા કરતા પુરાં ચૌરયાસી વર્ષ જેટલો સમય વીતી ગયો. એક દિવસ, કંઈક અદભૂત ઘટ્યું, અનોખું પરિવર્તન થયું. દરેક યોગીએ થોડી ગણી ગોઠવણ કરતો રહ્યો. કારણ કે તેમનું શરીર પણ બદલાતું રહ્યું. આ સાત લોકોએ ચમત્કારનો અનુભવ કર્યો. તેઓએ આ ચૌરયાશી વર્ષમાં શું બન્યું, શું ઘટ્યું, વિશે સંપૂર્ણપણે ભૂલી ગયા, અને તેઓ હજુ પણ તૈયારીઓમાં લાગ્યા છે.
આદિયોગીએ ઝીણવટપૂર્વક તેમનું નિરીક્ષણ કર્યું અને જ્યારે આગામી પૂર્ણિમા આવી, ત્યારે તેમણે ગુરુ બનવાનું નક્કી કર્યું. તે પૂનમ ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખાય છે. ગુરુ પૂર્ણિમા એ પૂનમનો એ દિવસ છે, જ્યારે પ્રથમ યોગીએ સ્વયંને આદિ ગુરુ - પ્રથમ ગુરુ સ્વરુપે રુપાંતરિત કર્યા. તેઓ દક્ષિણ દિશા તરફ ફર્યા, આથી જ તેઓ દક્ષિણામૂર્તિ તરીકે ઓળખાય છે - અને આ રીતે સાત શિષ્યોને યોગ વિદ્યાનું પ્રસારણ શરુ થયું. આમ, દક્ષિણાયનની પ્રથમ પૂનમ એ ગુરુ પૂર્ણિમા છે - પ્રથમ ગુરુનો જન્મ થયો હતો તે દિવસ.
ગુરુ પૂર્ણિમાઃ મર્યાદાઓથી પર થવાની સંભવિતતા
પ્રસારણ – વિશ્વનો પ્રથમ યોગ કાર્યક્રમ કેદારનાથથી થોડા કિલોમીટર આગળ કાંતિસરોવરના કાંઠે થયો હતો. જ્યારે આપણે “યોગ” શબ્દ પ્રયોજીએ છીએ, ત્યારે આપણે શરીરને અમુક સ્થિતિમાં વાળવા કે શ્વાસની ગતિવિધિને નિયંત્રિત કરવા વિશે વાત નથી કરી રહ્યાં. આપણે જીવનની વ્યવસ્થા વિશે અને સર્જનના આ અંશને (સ્વયંને) તેની સર્વોચ્ચ સંભવિતતા સુધી કેવી રીતે લઈ જવો, તેના વિશે વાત કરીએ છીએ. માનવ સચેતતાનું આ વિલક્ષણ પરિમાણ અથવા તો, વિશ્વનો ઝરુખો બનવાની વ્યક્તિગત સંભવિતતા આ દિવસે મુક્ત થઈ હતી.
ગુરુ પૂર્ણિમા માનવજાતિના જીવનની મહાનતમ ક્ષણો પૈકીની એક ક્ષણની સૂચક છે. તે વિશ્વની મર્યાદાઓથી પર, શ્રેષ્ઠતા અને મુક્તતાની એવી સંભવિતતાની સૂચક છે, જેના વિશે માનવ સમુદાય અજાણ હતો. તમારી આનુવંશિકતા ચાહે ગમે તે હોય, તમારા પિતા કોણ છે, તમે કઈ મર્યાદાઓ સાથે જન્મ્યા છો - તેની સાથે તેને કંઈ લેવાદેવા નથી - તમે તે તમામ મર્યાદાઓને ઓળંગીને આગળ નિકળી શકો છો, જો તમે તેમ કરવાની ઈચ્છાશક્તિ ધરાવતા હોવ તો. માનવ ઈતિહાસમાં તેમણે પ્રથમ વખત ઉદઘોષણા કરી કે મનુષ્ય માટે સચેતપણે ઉત્ક્રાંતિ, વિકાસ સાધવો શક્ય છે.
થોડાં વર્ષો અગાઉ, જ્યારે એક અમેરિકન મેગેઝિને મારો ઈન્ટરવ્યૂ લીધો હતો, ત્યારે મને પૂછવામાં આવ્યું હતું કે, “પશ્ચિમ જગતમાં માનવીય ચૈતન્ય માટે કામ કરનાર સૌથી નોંધપાત્ર હસ્તી કોણ છે?” સ્હેજ પણ ખચકાટ વિના મેં જવાબ આપ્યો, “ચાર્લ્સ ડાર્વિન.” તેમણે કહ્યું, “પણ ચાર્લ્સ ડાર્વિન તો જીવવિજ્ઞાની છે.” મેં કહ્યું, હા, પણ તેઓ એવી પ્રથમ વ્યક્તિ હતા જેમણે લોકોને જણાવ્યું કે ઉત્ક્રાંતિ કે વિકાસ સાધવો શક્ય છે, તેમણે લોકોને જણાવ્યું કે તમે હાલમાં જે છો, તેનાથી વધુ વિકસિત થઈ શકો છો.
જીવવિજ્ઞાનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતને માન્ય રાખનારા પશ્ચિમના એ સમાજોએ આજે આધ્યાત્મિક પ્રક્રિયા માટે દ્વાર ખોલ્યાં છે. જે લોકો એવું માને છે કે આપણને ભગવાને આવા જ ઘડ્યા છે અને તે જ સત્ય છે - તો, આવા લોકો કોઈ સંભવિતતાને અપનાવવાની મુક્તતા નથી દાખવતા.
ડાર્વિને આશરે બસ્સો વર્ષ પહેલાં જીવ ઉત્ક્રાંતિની વાત કરી હતી. આદિયોગીએ પંદર હજાર વર્ષથી પણ વધુ સમય પહેલાં આધ્યાત્મિક ઉત્ક્રાંતિની વાત કરી હતી. તેમણે આપેલા જ્ઞાનનો સાર એ છે કે અસ્તિત્વ ધરાવતો - સૂર્ય અને પૃથ્વી સહિતનો પ્રત્યેક અણુ - તેનું પોતાનું ચૈતન્ય ધરાવે છે, પણ તેમની પાસે જે નથી હોતું, તે છે સમજશક્તિ કે સ્પષ્ટતા ધરાવતું દિમાગ. એક વખત સ્પષ્ટ દિમાગમાં ચૈતન્ય અથવા તો સચેતપણું ઉદ્ભવે, ત્યારે તે ઘણી જ શક્તિશાળી સંભવિતતા બની જાય છે. આ લાક્ષણિકતા માનવ જીવનને આગવાપણું બક્ષે છે.
ગુરુ પૂર્ણિમાની કથામાં ચોમાસાની ભૂમિકા
આદિ યોગી પાસેથી જ્ઞાન મેળવ્યા બાદ, સાત ઋષિઓએ સમગ્ર વિશ્વમાં યોગ વિજ્ઞાનનો પ્રસાર કરવા માટે પ્રવાસ ખેડવાનું શરુ કર્યું. તે પૈકીના એક ઋષિ, અગસ્ત્ય મુનિએ ભારતીય ઉપખંડની દક્ષિણ તરફ પ્રયાણ કર્યું. અગસ્ત્ય મુનિ જેને અસાધારણ કહી શકાય તે પ્રકારનું જીવન જીવતા હતા. તેમણે એ ખાતરી કરી કે હિમાલયની દક્ષિણ તરફ આવેલા તમામ માનવ સમુદાયો આધ્યાત્મિક પ્રક્રિયામાંથી પસાર થાય. આમ તો, આજે આપણે જે પણ સાંભળીએ છીએ, આપણે જેને ઈશા યોગ કહીએ છીએ, તે અગસ્ત્ય મુનિના કાર્યનું એક નાનું વિસ્તરણ જ છે.

દક્ષિણ તરફના અગસ્ત્યના પ્રયાણે યોગીઓ તથા આધ્યાત્મિક સાધકોમાં ઋતુના આગમન અને વિદાય સાથે હિમાલયમાંથી દક્ષિણ તરફ અને પછી ત્યાંથી ફરી હિમાલય તરફ પ્રયાણ કરવાની પરંપરા દાખલ કરી. આ ક્રમ હજ્જારો વર્ષોથી અવિરતપણે ચાલી રહ્યો છે. ઊનાળા દરમિયાન તેઓ હિમાલયની ગુફાઓમાં રહે છે અને શિયાળો આવતાં તેઓ દક્ષિણમાં આવે છે. તે પૈકીના ઘણા યોગીઓ અને સાધકો રામેશ્વર સુધીનો પ્રવાસ ખેડે છે, જે ભારતીય ઉપખંડનો દક્ષિણી છેડો છે. ત્યાર બાદ તેઓ હજ્જારો કિલોમીટરનું અંતર કાપીને પગપાળા ફરી ઉત્તરે પરત ફરે છે.
દક્ષિણનો પ્રવાસ ખેડવાની અને પછી ફરી હિમાલય પરત ફરવાની વાર્ષિક પરંપરા અગસ્ત્યના સમયથી જળવાઈ રહી છે. આજે, યોગીઓ અને સાધકોની સંખ્યા જરુર ઘટી ગઈ છે, પણ એક સમયે યોગીઓ હજ્જારોની સંખ્યામાં પ્રવાસ ખેડતા. તે સમય દરમિયાન, જ્યારે તેઓ વ્યાપક સંખ્યામાં પ્રવાસ કરતા, ત્યારે ચોમાસાને કારણે આ મહિનો ઘણો જ પડકારજનક બની રહેતો.
હવે આપણે એટલી મુશ્કેલીઓનો અનુભવ નથી કરવો પડતો, પણ ચોમાસું પરંપરાગત રીતે જ ઘણી આક્રમક પ્રક્રિયા છે. ચોમાસા શબ્દ સાથે જ ગતિ અને આવેશ સંકળાયેલાં છે. જ્યારે પ્રકૃતિ રૌદ્ર સ્વરુપ ધારણ કરે, ત્યારે પગપાળા યાત્રા કપરી બની રહેતી. સામાન્યપણે એવું નક્કી કરવામાં આવતું કે આ મહિના દરમિયાન તમામ લોકોએ જ્યાં મળે ત્યાં આશ્રય મેળવી લેવો.
ઘણા સમય પછી, ગૌતમ બુદ્ધે પણ તેમના સાધુઓને આ મહિનામાં જ્યારે મુસાફરી ખેડવી ઘણી જ કઠિન બને, ત્યારે પ્રવાસમાંથી વિરામ લેવાનું સૂચન કર્યું. આ સમયે તેઓ એક જ સ્થળે રોકાણ કરતા હોવાથી, આ મહિનામાં અવિરતપણે ગુરુનું સ્મરણ કરતા રહેવું જોઈએ તેવું જણાવવામાં આવ્યું.
ગુરુ પૂર્ણિમાની કથા ધર્મ કરતાં પણ જૂની છે
હજ્જારો વર્ષોથી, ગુરુ પૂર્ણિમા હંમેશા માનવ વંશ માટે નવી શક્યતાઓ ખૂલવાના દિવસ તરીકે જોવાતી અને ઉજવાતી આવી છે. આદિયોગીએ જે જ્ઞાન આપ્યું તે તમામ ધર્મો કરતાં પણ જૂનું છે. જ્યારે લોકોએ માનવતાનું એવા બિંદુ પરથી છેદન કરવાના વિભેદક માર્ગની ગોઠવણ કરી, કે જ્યાંથી તેને પૂર્વવત્ કરવું લગભગ અશક્ય બની જાય, તેની પહેલાં માનવ ચૈતન્યને કેળવવા માટેનાં સૌથી શક્તિશાળી માર્ગો ઓળખવામાં આવ્યા હતા અને તેમનો પ્રચાર કરવામાં આવ્યો હતો. હજ્જારો વર્ષો પહેલાં, આદિયોગીએ એવો દરેક શક્ય માર્ગ ખોળ્યો હતો, કે જેમાં તમે માનવ વ્યવસ્થાને સર્વોચ્ચ સંભવિતતા સુધી પહોંચાડી શકો અને તેનું રુપાંતરણ કરી શકો.
તેની સંપૂર્ણતા અવિશ્વસનીય છે. તે સમયે લોકો એટલા સુસંસ્કૃત હતા કે કેમ તે પ્રશ્ન અસ્થાને છે, કારણ કે આ સંપૂર્ણતા, સુસંસ્કૃતતા કોઈ માનવ સભ્યતા કે વિચાર પ્રક્રિયામાંથી નહોતી સ્ફૂરી. તે આંતરિક બોધમાંથી જન્મી હતી. તેને આજુબાજુ શું બની રહ્યું હતું તેની સાથે કોઈ નિસ્બત ન હતી. તે તો તેનામાંથી છલકાઈને આવ્યું હતું. તેમણે માનવ વ્યવસ્થામાં દરેક તબક્કે તમે શું કરી શકો છો, તેની શક્યતા અને અર્થ પૂરાં પાડ્યાં છે.
આજે પણ તમે તેમાંની એક પણ બાબતને બદલી શકશો નહીં, કારણ કે, જે સમજાવી શકાતું હતું, તે સઘણું તેમણે અત્યંત સુંદર અને બુદ્ધિમત્તાપૂર્ણ રીતે સમજાવ્યું છે. તમે ફક્ત તેનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરવામાં તમારું જીવન વ્યતીત કરી શકો.
હવે આપણે ગુરુ પૂર્ણિમાની ઉજવણી શા માટે નથી કરતાં?
ગુરુ પૂર્ણિમા શ્રેષ્ઠતા (વિશ્વની મર્યાદાઓથી પર) અને મુક્તપણાની એવી શક્યતા દર્શાવે છે, જે વિશે માનવ સમુદાય અજાણ હતો. તમારી આનુવંશિકતા શું છે, તમારા પિતા કોણ છે અથવા તો તમે કઈ મર્યાદાઓ સાથે જન્મ્યા છો - આ બધાં પરિબળોથી કોઈ ફર્ક નથી પડતો. જો તમે પ્રયત્ન કરવા માટે તૈયાર હોવ, તો તમે આ તમામ મર્યાદાઓ ઓળંગીને આગળ વધી શકો છો. આ દિવસ આ રીતે ઓળખાય છે અને હજ્જારો વર્ષોની સંસ્કૃતિમાં તે સૌથી મહત્વની ઉજવણીઓ પૈકીની એક ગણાય છે.
પણ જેમણે છેલ્લાં 300 વર્ષોમાં આ દેશ પર રાજ કર્યું, તેઓ તેમની પોતાની યોજનાઓ ધરાવતા હતા. તેઓ સમજી ગયા કે જ્યાં સુધી લોકો આધ્યાત્મિક રીતે મજબૂત હશે અને પોતાનાં મૂળ સાથે જોડાયેલાં રહેશે, ત્યાં સુધી તેમના પર શાસન કરી શકાશે નહીં. શા માટે ગુરુ પૂર્ણિમાના દિવસે જાહેર રજા નથી હોતી? શા માટે રવિવારે રજા હોવી જોઈએ? રવિવારે તમે શું કરો છો - વેફર ખાઓ છો અને ટીવી જુઓ છો. તમે એ સુદ્ધાં નથી જાણતાં કે શું કરવું! પરંતુ જો પૂનમના દિવસે કે અમાસના દિવસે રજા હોય, તો આપણે જાણીએ છીએ કે શું કરવું.
દરેકે આ મુદ્દો ઉઠાવવો જોઈએ. આ ગુરુ પૂર્ણિમાએ ઓફિસે ન જાઓ. રજા માટે અરજી કરો અને કહો કે, “ગુરુ પૂર્ણિમા હોવાથી હું ઓફિસે નહીં આવું.” તમારા સૌ મિત્રોને ગુરુ પૂર્ણિમા હોવાથી તે દિવસે રજા માટે અરજી કરવાનું કહો. તે દિવસે તમારે શું કરવું જોઈએ? તે દિવસ તમારા આંતરિક કલ્યાણ માટે ફાળવો, હળવો આહાર લો, સંગીત સાંભળો, ધ્યાન ધરો, ચંદ્રને જુઓ - તે તમારા માટે ઘણો જ અદભૂત અનુભવ બની રહેશે, કારણ કે અયનાન્ત (સૂર્ય જ્યારે વિષુવવૃત્તથી દૂરમાં દૂર હોય છે તે બે કાળમાંનો એક, અયન) પછીની તે પહેલી પૂનમ હોય છે. ઓછામાં ઓછી દસ વ્યક્તિઓને જણાવો કે આ ઘણો જ મહત્વનો દિવસ છે.
આ એવો દિવસ છે, જ્યારે રજાનો દિવસ આપણા માટે મહત્વનો બની રહે છે. ગુરુ પૂર્ણિમાએ રજા હોવી જોઈએ, જેથી લોકો તેનું મહત્વ સમજી શકે. જ્યારે આવી ઘટના માનવી સાથે સર્જાય, ત્યારે તે વ્યર્થ ન જવી જોઈએ.
જુલાઇ 27 ના ઉજવો ગુરુ પુર્ણિમા સદગુરુ સાથે, આદિયોગી ના સાનિધ્યમાં . જોડાઓ ઈશા યોગ કેન્દ્ર થી અથવા તો લાઈવ વેબસ્ટ્રીમ થી..


